મંગળવાર, 1 એપ્રિલ, 2014

Teach a Good thingsto Child By this one

‘‘મુંબઈની ઉત્તર તરફ આવેલા કાઠિયાવાડના એક રજવાડાનું નામ પોરબંદર છે. ત્યાં એ જ નામનું એક બંદર છે, જે તે રજવાડાની રાજધાની છે. વરસો પહેલાં, તારા દાદા આજે તું છે તે કરતાં પણ નાના હતા ત્યારે પોરબંદરમાં એક કરમચંદ ગાંધી રહેતા હતા. તે ન્યાતે વાણિયા હતા પણ તેમના કુટુંબના લોકો સારું ભણેલાગણેલા હતા. એ ઘરાણામાં ત્રણ પેઢીથી બાપની પછી તેનો દીકરો કાઠિયાવાડના રજવાડામાં દીવાન થતો આવ્યો હતો.
‘‘કરમચંદ બહુ સાચા, બહાદુર અને ગાનશૂર હતા. લોકોમાં તેમની મોટી આબરૂ હતી અને તેમની વાતને લોકો પથ્થર પર દોરેલી રેખ ગણતા. તેમનો સ્વભાવ સહેજ તીખો હતો અને તેથી લોકોમાં તેમનો ખૂબ રુઆબ પડતો. તેઓ કાઠિયાવાડના રાજામહારાજાઓના ઝઘડા પતાવી આપવાનું કામ કરતાં. હંમેશાં સાચું બોલતાં તેથી અને સાચી વાત સંભળાવી દેતા એટલે લોકો તેમના તરફ માનની નજરે જોતા.
‘‘કેટલાંક વર્ષો સુધી કરમચંદ પોરબંદર રહ્યા. પછી ત્યાં ન ફાવવાથી રાજકોટ ગયા. રાજકોટ પણ કાઠિયાવાડનું એક રજવાડું છે. બળદગાડીમાં પોરબંદરથી રાજકોટ જતાં પાંચ દહાડા થતા. રાજકોટના રાજાને ઠાકોરસાહેબ કહેવામાં આવે છે. તે કરમચંદને ઘણું માન આપતા. બહુ થોડાં વરસમાં તેમણે કરમચંદને રાજકોટના દીવાન બનાવ્યા.
‘‘એક બાબતમાં કરમચંદનું નસીબ ખોટું હતું. તે ત્રણ વાર પરણ્યા પણ ઇશ્વરે તેમની ત્રણે પત્નીઓને એક પછી એક બોલાવી લીધી. ચાળીસ વર્ષે તેમણે પૂતળીબાઈ સાથે ચોથું લગ્ન કર્યું. તેનાથી તેમને એક દીકરી અને ત્રણ દીકરા થયા.
‘‘કરમચંદ અને પૂતળીબાઈ બંને પોતાનો ધર્મ પાળવામાં પાકાં અને ભલાં હતાં. બંને દરરોજ મંદિરે જતાં અને દેવનું દર્શન કરી તેને ફૂલ ચડાવતાં. કરમચંદ કરતાં પણ પૂતળીબાઈ ધર્મ પાળવામાં બહુ નિયમિત હતાં. એક દિવસ એવો ન હોય જ્યારે તે મંદિરે ન ગયાં હોય. વારતહેવારે વ્રત રાખતાં અને માંદાં પડે તોપણ વ્રત પૂરાં કરતાં. તેઓ જાતજાતનાં વ્રત કરતાં; જેમ કે એક વખત તેમણે ચોમાસામાં સૂર્યનારાણનાં દર્શન કર્યા વગર ભોજન ન કરવાનું વ્રત લીધું હતું. હરિ, તું જાણે છે કે ચોમાસાના દિવસોમાં સૂરજ દહાડાના દહાડા વાદળાંમાં સતાઈ રહે છે. એવા દિવસોએ તેઓ કામમાં હોય ત્યારે છોકરાં આંગણામાં આકાશ સામે નજર માંડીને ઊભાં રહેતાં અને સૂરજ દેખાય ને માને બોલાવી સૂરજ બતાવીએ તેની વાટ જોયા કરતાં. સૂરજ નજરે પડતાંવેંત દોડીને માને ખબર આપતાં. પણ મા આવે આવે ત્યાં તો સંતાકૂકડી રમતો સૂરજ પાછો વાદળામાં સંતાઈ જાય ! તેઓ બારણામાં આવતાં સૂરજનાં દર્શન ન થતાં, ‘કંઈ નહીં, આજે નસીબમાં ખાવાનું નહીં હોયએમ કહી પાછાં ઘરમાં કામે વળગી જતાં. પૂતળીબાઈ ધર્મચુસ્ત હતાં પણ સાથે વહેવારકુશળ પણ તેવાં જ હતાં. રાજકોટના મહેલની બધી રાણીઓ તેમને માનની નજરથી જોતી અને રાજમાતા તો કોઈ પણ કામ તેમને પૂછ્યા વગર કરતાં નહીં.
‘‘પૂતળીબાઈનાં ચાર બાળકોમાં સૌથી મોટા અને નાના વચ્ચે છ વરસનો ગાળો હતો. સૌથી નાનાનો જન્મ આજથી પંચાણુએક વરસ પર ૧૮૬૯ની સાલમાં થયો હતો.   બાળક બહુ દેખાવડો નહોતો પણ કોણ જાણે કેમ કરમચંદ, પૂતળીબાઈ અને બીજાં ભાઈબહેન તેને જોઈને ખૂબ રાજી થતાં. બધાં ભાઈબહેન વારંવાર તેને જોવા આવે અને નાનો આંખો ઉઘાડી, મોંમા પગનો અંગૂઠો નાખી સૌની સામે ટગર ટગર જોયા કરે.
‘‘એક સારો દહાડો જોઈ પિતાએ નાનાનું નામ મોહનદાસ પાડ્યું, ને કાઠિયાવાડના રિવાજ પ્રમાણે પિતાનું કરમચંદ નામ અને કુટુંબની ગાંધી અટક તે નામ સાથે જોડાતાં તેનું આખું નામ મોહનદાસ કરમચંદ ગાંધી થયું.
‘‘મોહનદાસ પાંચ વરસનો થયો ત્યારે તેને નિશાળે મૂકવામાં આવ્યો. નિશાળના પાઠ તો તે જેમતેમ કરીને યાદ રાખતો, પણ આંકના પાડા તેને કેમેય યાદ ન રહે ! એક બાજુથી ગોખે ને બીજી બાજુથી પાછો ભૂલી જાય !
‘‘મોહનદાસ લગભગ સાત વરસનો થયો હશે ત્યારે તેના પિતા કરમચંદને નોકરીની બાબતમાં પોરબંદર છોડવાનું ને રાજકોટ જવાનું થયું. બાળકોને જૂનું ઘર છોડતાં ખૂબ દુઃખ થયું, પણ રાજકોટ પહોંચતાં બે-ચાર દિવસમાં બધાં જૂનું ઘર ભૂલી ગયાં ને નવા ઘરમાં મોજથી રહેવા લાગ્યાં.
‘‘મોહનદાસનાં મા જૂના વિચારનાં હતાં તેથી આભડછેટને માનતાં. તે મોહનદાસને હંમેશાં કહે કે, ‘કોઈ ઢેડચમારને અડી જવાય તો તરત નાહીધોઈ કપડાં બદલી નાખવાં.મોહનદાસને ત્યાં તેમનાં ભંગીનો ઊકો નામનો છોકરો દરરોજ સફાઈ કરવા આવતો. ભૂલથી પણ મોહનદાસ તેને અડી જાય તો મા તરત મોહનદાસને નવરાવતી. મોહનદાસ નાહી લેતો ખરો પણ ઊકો આમ નીચ અને અસ્પૃશ્ય શી રીતે એ તેને સમજાતું નહીં. ધીમે ધીમે તે એવું માનવા લાગ્યો કે હું પણ કોઈ ને કોઈ રીતે અસ્પૃશ્ય બની જાઉં ને પછી તેમને બ્રાહ્મણો જેટલા જ ઊંચે લાવી બતાવું.
‘‘મોહનદાસ બધી રીતે સામાન્ય બાળકો જેવો હતો. પણ તેનામાં એક ખાસ ગુણ એવો હતો કે ગમે તે ભોગવવું પડે તોયે હંમેશાં સાચું બોલવું. એક વખત અંગ્રેજ સાહેબ મોહનદાસની નિશાળ તપાસવા આવ્યા હતા. તેમણે જોડણીની પરીક્ષા લેવા પાંચ શબ્દો લખાવ્યા. મોહનદાસે એક શબ્દની જોડણી ખોટી લખી. માસ્તરે ઇશારો કરી મોહનદાસને કહ્યું કે બાજુના છોકરાની નોટમાં જોઈ જોડણી સુધારી લે. માસ્તર ઇશારા કરી કરીને થાક્યા પણ મોહનદાસ સમજ્યો નહીં. છેવટે તેમણે પોતાના બૂટની અણી મોહનદાસના પગ પર દબાવી એટલે બાળક બિચારો ટળવળી ઊઠ્યો. પણ ભોળા ને સાચા મોહનદાસને માસ્તર તેને ચોરી કરવાનું કહે છે તે વાત ખ્યાલમાં ન આવી !’’

ટિપ્પણીઓ નથી: